|| શ્રીજાંબુવંતી વહુજીની આજ્ઞા ||

|| શ્રી ગોપાલો જયતે ||

સંવત ૧૭૯૭માં મકનદાસ છીપાએ ચૈત્ર વદ ચતુરાદશીનો માંડવો પાંચદેવળે કીધો. ભાઈ બબુ અને ગોપો રાવળ મળીને માંડવાનું પરિયાણ કીધું તે કંકોતરી સર્વે દેશમાં લખી અગણિત જુથ તેડાવ્યું. તે દેશ – દેશ માંથી સેવકજન ઉમંગ્યા, આવી મળ્યાં. દર્શન કરતા હૈયડા ટાઢા થાય. વડભાગીને નયણે નીરખતાં હરખનો પાર રહ્યો નહી. વ્રજના આવ્યા, પ્રજના આવ્યા. એમ જૂથનો પાર પમાય નહિ, તેટલું જુથ મળ્યું. હું(ડોસાભાઈ) તથા જીવનદાસ, પાંચાભાઈ વગેરે મળીને માંડવે હાલ્યા, તે પાંચદેવળે બારસે પુગ્યા. મારગમાં વાતું ઘણી શ્રીઠાકોરજીના ઘરની કરતા ગયા અને જુથ સામટા ભેળા ભળતા હાલ્યા, પણ ઇના ભાવનો વરણવ થાય નહીં. એવા ભગવદી જનના દર્શન થતાં મનમાં મોદ ઉભરાય. મંડપની રચના અલૌકિક અદભૂત રળિયામણી કરી હતી. ધજા, પતાકા, તોરણ, ચાકળા વગેરેથી દિપતો હતો. ધજા, પતાકા, કળશની શોભા ઘણી કીધી હતી. તેનું દર્શન અલૌકિક થતું હતું.

વૈષ્ણવ જૂથને ઉતારા ઘણાં આપ્યાં, સુખ સગવડનો કોઈ પાર નહી. સેવક ટેલ કરે ને મનમાં મોદે ભરે અને વાતો ગોપેન્દ્રજીની કરે. સાચા સોહાગીજનના જુથ સામટા ભેળાં ઉતર્યા હતાં.

માંડવેથી સામૈયા શણગારીને વાજતે ગાજતે ચાલ્યાં, તે ગામને પાદર સમિયાણા ઊભા કીધા હતા. ત્યાં જુથ સામટા મળીને કીર્તન કરે. સામૈયા લઈને પાદરે પૂગ્યા, સર્વેને હળ્યા મળ્યાં, ખુબ ખુબ ભેટ્યાં.

શ્રી ઠાકોરજીને મનુહાર પોથીજી પધરાવીને કીધા. પુષ્પની માળા, તેલ તિલક, તાંદુલના થાળ સન્મુખ ધરાવ્યા. મીઠા જળના ગગરા ધરાવ્યા. પછે મનુહાર કરી, પછે ન્યોછાવર કીધું અને પછે તેલ તિલક કીધાં. મીઠા સાકરીયા જળ સૌને લેવરવ્યા અને પછે સામૈયા લઈને ચાલ્યાં. ઘણાં છંદ, કવત, સાખી, ચોપાઈ, સોરઠા લલકારે. કીર્તન મંડલી કીર્તન કરી જશ અવનવા ગાય, નારી વૃંદનું જુથ માથે કળશ લઈને ધોળ મંગળ ગાતા મલપતા હીંડે. તે સામૈયા દી ચડે પોર એક પછે કીધાં હતાં. તે માંડવે પુગ્યાં, ત્યાં દિ આથમો અને પછે પંગત પરસાદ લેવાની પડી. બાટનો પરસાદ ધર્યો, પછે ભેળુ ભાત ધર્યો અને સર્વેને સંતોષ્યા.

પછે બીજો દી મધખેલનો કીધો. સર્વેને ચબીના આપ્યાં અને પછે કીરતન સમાજ સર્વે ગામની મંડળીના થાય. આનંદ કતોહલ માંડવામાં થાય. એમ કરતાં બપોર થયો, તેલ તિલક કીધાં, ભેટની લખણી થઈ અને ઉમંગ્યા ભેટ ધરે, ગામ ગામના નામ ઠામ લખાય, પછે મહાપ્રસાદ લેવાની પંગતું પડી. આનંદે મહાપ્રસાદ લીધાં.

અને પછે કીરતન વારતા એ બેઠા, તે ઠાકોરજીના ઘરની ચર્ચા ઘણી થાય. સાંભળતા મનમાં હરખ ના સમાય. અનુભવી યા આગળ વારતા થાય, ગ્રંથ ખોલીને પ્રસંગ ચર્ચાય. ઘણાં જુથ સાંભળવા બેઠાં હતા. ત્યારે જાંબુવંતી વહુજી મહારાજનો ભેટિયો વલ્લભજી ગોકુળથી પરસાદી ઉપરણો ઠાકોરજીનો લઈને આવ્યો અને વહુજી મહારાજનું કહેણ લઈને આવ્યો હતો. તે સર્વે સમાજને સંભળાવ્યું હતું અને કહ્યું કે જાંબુવંતી વહુજી એ આજ્ઞાં કરતા કહ્યું છે કે: અમોએ ગાદી કોઈને સોંપી નથી અને ગોપેન્દ્રજી ની આજ્ઞા પરમાણ રાખીને કોઈને સોંપશું નહી. તમે કોઈ બાળક ની વાતને માનમાં લેશો નહીં.

અને ગોપેન્દ્રજીની આજ્ઞા પરમાણ માનીને રહેજો. તમોને જે સેવન પધરાવી આપ્યું છે, તેને સેવજો. અને તે તમારા ઘરમાં બિરાજે છે, તેની સનમુખ તમારા બાળ ગોપાલ નાના મોટા સર્વેને શરણદાન આપજો, તે પંચભગવદીની કાનીથી આપજો. તમને જે ભગવદીનો ભર ઉપજે, તેનો વિશ્વાસ રાખી શ્રીગોપાલજી તથા શ્રીગોપેન્દ્રજીનાં નામનો મંત્ર ઉપદેશ અષ્ટાક્ષરથી આપજો, ને પંચાક્ષર સંભળાવજો. તે જીવને નિવેદન થયું જાણજો અને સન્મુખ ભેટ ધરજો, તે અમારા ભેટિયાજીને આપજો, જે અમારા ઘરની ગણાશે. બીજો કોઈ જાજો વહેવાર કોઇથી રાખશોમા. તમારા ધણી તમારા માથે બિરાજે છે, તેને માનજો, તેની કાની રાખજો, તેની આજ્ઞાનું પ્રમાણ તમો સર્વો ભગવદી જાણો છો. તે શ્રીગોપેન્દ્રજી ની ઈચ્છાએ કરીને તમને જે આજ્ઞા કરી ગયા છે, તે પરમાણ માનીને રહેજો. વલ્લભજી ભેટીયા સાથે કેણ ગોપેન્દ્રજીની આજ્ઞા અનુસાર મોકલ્યું છે, તે વિચારીને ચાલજો. અમો વારે-વારે કહીએ છીએ કે, અમોએ ગાદી કોઈને સોંપી નથી, તે તમે નિશ્ચય કરીને જાણજો. બાકી અમારા ઘરની વાત અમો જાણીએ છીએ અને તમોને જણાવીએ છીએ.

શ્રી ગોપેન્દ્રજી ની આજ્ઞાનું પ્રમાણ અમોએ સર્વે બાલકને વંચાવ્યું છે. પછે ઢુકડાં આવતા બંધ થયા છે. અમોને પરિશ્રમ ઘણો આપ્યો તે લખાય નહી. પણ અમો તો શ્રીગોપેન્દ્રજીની આજ્ઞાએ મક્કમ રીયા, જેથી કલેશ બંધ થઈ ગયો છે. ભેટ ઠાકોરજીની આગળ ધરજો અને ભેટીયાને અમો ફેરવીએ છીએ તેને આપજો. તે અમારી આજ્ઞાથી ફરે છે.

બીજું મહદ ભગવદી પાંચનું કારણ રાખજો. ખેલ, માંડવા, ઓચ્છવ, મનોરથ આપણા ઘરની રીતી તમે સરવે જાણો છો, તે પરમાણ રાખીને સરવે મળીને કરશો. જેથી ઠાકોરજી તમ ઉપર ઘણું પ્રસન્ન રહેશે. આ સિવાય બીજો કોઇ પરકાર રાખશોમા. કોઈ બાલકની વાત માન્યામાં લેતા નહી, છેટા રહેજો. આપણા ઘરનું કારણ જાણીને રહેજો. તમારા ઘરનું કારણ રાખજો. આપણી માળા જે ધ્રાંઠની છે તેનું કારણ રાખજો. બીજી માળાનું કારણ આપણા ઘરમાં નથી તે નિશ્ચે જાણજો. પણ આપણા ઘરનું દાન વડું કરીને જાણજો. બાકી વલ્લભ ભેટીયો મહારાજની સાથે ફરતો, તેથી ઘણો અનુભવ તેને છે. જમુનેશનો ખાસ અંગીકૃત છે. જેથી સર્વ વાત જાણે છે, તેને પુછજો.

આમ વલ્લભ ભેટીયે ચોખ પાડ્યો અને સર્વે સમાજે સાંભળીને ઠાકોરજીનો અને વહુજી મહારાજનો જે- જેકાર બોલાવ્યો. ઘણાં આનંદમાં આવી નાચ્યાં અને મનમાં હરખાણા કે વલ્લભ ભેટિયે ઘણો ચોખ પાડ્યો. અને સ્વાર્થી જન મુંડ હલાવી ભુંડા મોકલા કરી ભાગ્યા. કોઈએ પાછા વાળ્યા નહી. અને સમાજમાં ખુબ આનંદ થયો. મેળાપ દન પાંચનો રીયો. મહામંડપ ચૈત્ર વદ ચતુરાદશીનો કીધો હતો. પણ ઇ સુખના વરણવ લખ્યાં જાય નહીં. પછે અમોને માળા- પરસાદ મકનદાસે આપ્યાં. મકનદાસે પાંચાભાઈને પેરામણી પાઘની કીધી. મને ઊપરણો ઓઢાડ્યો. જીવનદાસને પણ પીતાંબરી ઓઢાડીને વિદાય કીધાં. આવા ઘણાં સનમાન કરી મકનદાસે બધા વૈષ્ણવોને વિદાય કીધાં તેનો હરદો ઘણો ભરાઈ આવે અને વૈષ્ણવોને ચરણે પડે. રાજ, તમ પધારે મારે ઘણું રૂડું થયું. એવા મીઠડાં વચન બોલે, અને જે ગોપાલ કરીને ભેટે, પછે વિદાય કરે. આવો અનહદ ભાવ મકનદાસનો, મોદ સમાય નહી તેવો હતો. તેણે વૈષ્ણવની છાપને દ્રઢ કરીને દેખાડી. મંડપમાં સુખ ઘણાં શ્રીજીને અને વૈષ્ણવોને લેવરાવ્યા. તે લખ્યા જાય નહીં.

(‘શ્રી પુષ્ટિસંહિતા ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||

  


Comments

One response to “|| શ્રીજાંબુવંતી વહુજીની આજ્ઞા ||”

  1. […] || શ્રીજાંબુવંતી વહુજીની આજ્ઞા(ભાગ-૧) || […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *