|| શ્રી ગોપાલો જયતે ||

દધી કુલ નાહત દાસ, મગ્ર ૫કર પદ ગયો.
પહોંચ્યો મહાજલ પાસ, પુરન ભાખ મન પાયો;
ધસી પ્રાક્રમ શુભ ધાર, કૃપાનિધિ તિત કીનો,
મગ્ર મુઠ ભર માર, સંત સાહે લગ્ય લીનો;
આયો અ૫નો ભોન જન પુર બીચ કહ્યો પ્રસાદ
લીલાધર સુત મહાવ મન, લહે નિશ્ચ અનહદ…૧૧૫

એ માવદાસ જ્ઞાતે ભણશાળી વૈશ્નવ, પોરબંદરના રહીશ હતા અને લીલાધરભાઈના દીકરા થતા હતા અને મહારાજ શ્રી જમુનેશ પ્રભુના સેવક હતા. એક દીવસ માવદાસના મનમાં આવ્યું કે આજે પંચ પરવણી છે. તેથી ઘણા માણસો દરશન કરવા તથા નહાવા દરીએ જાય છે માટે હું પણ જાઉં. એમ વિચાર કરી, પોતાના પિતાશ્રી લીલાધરભાઈને વાત કરી તે સાંભળી લીલાધરભાઈએ કહ્યું કે માવા – આપણાથી જવાય નહીં – અન્યાશ્રય થાય ત્યારે માવદાસ કહે એમાં અન્યાશ્રય શાનો? બધું એકનું એક જ છે, એતો બધા વહેમ છે એમ કહી ચાલતા થયા અને દરીએ નહાવા માટે ગયા પણ જેવા નહાવા પડયા કે તુરત જ મઘરીએ આવી પગ પકડયો અને જ્યાં ઘણું જલ હતું ત્યાં લઈ ગઈ

ત્યારે માવદાસે મનમાં વિચાર્યું જે બાપાની વાત સાચી મને અનાશ્રય થયો છે, એ વખતે જ પોતે મનમાં શ્રી ઠાકુરજીને વીનતી કરવા લાગ્યા કે હે પ્રભુ હું તો અજ્ઞાની જ છું, મેં આપના સ્વરૂપને ઓળખ્યું નહીં, પણ કૃપાનિધાન આપનું બાનું છે. માટે હે નાથ ! મને બચાવો તો જ હું બચીશ. એ મુજબ વિનંતી કરી શ્રી ઠાકુરજીનું ધ્યાન કર્યું કે તુર્ત જ કૃપાના નિધિ એવા શ્રી જમુનેશ પ્રભુએ ત્યાં પ્રગટ થઈ તેને દરશન આપ્યા અને મઘરીના મોઢા ઉપર એક મુઠી મારી કે તુર્ત જ મઘરીએ માવદાસનો પગ મુકી દીધો. મહારાજશ્રી માવદાસને કાંઠા ઉપર લાવી અંતરધ્યાન થઈ ગયા.

માવદાસે પોરબંદર ગામમાં આવી સરવે વૈશ્નવોને બનેલી વાત સરવે કહી દેખાડી તે દિવસથી માવદાસ પતિવૃતાનું પણ પાળવા લાગ્યા અને મહારાજશ્રીનું ધ્યાન ધરવા લાગ્યા. આવી કૃપા મહારાજશ્રીએ પોતાના નિજ સેવક ઉપર કરી, આપશ્રીએ જાતે શ્રમ લઈ સમુદ્રમાંથી મઘરીના મોંઢામાંથી પણ પોતાના જનને માવદાસને ઉગારી લીધો તેની કૃપાનો પાર નથી.

(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )

|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *